સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરવામાં આવતા જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના પૂર્વ મેયર મીનાબેન પટેલ અને મહેશભાઈ મોદી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે જ 250 થી વધુ ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. ટૂંકા સમયગાળાને જોતા આગામી 1 સપ્તાહમાં જ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે.
