સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આજે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ તેમજ ‘નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના’ હેઠળ અનેક લાભાર્થીઓને મંજૂરી પત્રો અને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની આ યોજનાઓનો મુખ્ય હેતુ છેવાડાના માનવીને આર્થિક સુરક્ષા પૂરી પાડી તેમનું જીવન ધોરણ સુધારવાનો છે.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, શહેર મહામંત્રી વિપુલભાઇ ચૌહાણ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સહાય મેળવનાર લાભાર્થીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
