સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવે ગેરકાયદેસર નળ કનેક્શન ધારકો સામે કડક કાર્યવાહીના એંધાણ મળી રહ્યા છે. શહેરમાં “નલ સે જલ” જેવી વિવિધ યોજનાઓ હેઠળ નવી પાઈપલાઈનો બિછાવવામાં આવી છે, પરંતુ તંત્રના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં કુલ 80,000 થી વધુ નળ કનેક્શન હોવા છતાં, માત્ર 38,000 ધારકો જ નિયમિત વેરો ભરે છે. બાકીના 42,000 થી વધુ નળધારકો નળવેરો કે પાણીનો કર ચૂકવતા નથી, જેને તંત્રએ “ભૂતિયા કનેક્શન” તરીકે ઓળખાવ્યા છે.
માર્ચ મહિનાનું એન્ડિંગ નજીક આવતા ટેક્સ વિભાગ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવાયો છે. ટેક્સ વિભાગના અધિકારી મહોબ્બતસિંહ પરમારના જણાવ્યા મુજબ, મકાન, દુકાન અને કોમર્શિયલ સ્થળો પર નળ કનેક્શનની કાયદેસરતા તપાસવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.
જો તપાસ દરમિયાન કનેક્શન ગેરકાયદેસર જણાશે તો તેને તાત્કાલિક કાપી નાખવામાં આવશે. જોકે, તંત્રએ રાહત આપતા જણાવ્યું છે કે જે ધારકો બાકી રહેતો વેરો અને જોડાણનું બિલ સ્થળ પર ભરી દેશે, તેમને નળકપાતની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. વાર્ષિક માત્ર 600 રૂપિયાનો ટેક્સ હોવા છતાં લાખોની કરચોરી કરનારા તત્વો સામે હવે પાલિકાએ કડક નીતિ અપનાવી છે.
