Surendranagar Heatwave Update
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સુધી આકરી ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. ખાસ કરીને ઝાલાવાડ પંથકમાં ફાગણ માસમાં જ તાપનો પારો આસમાને પહોંચ્યો છે.
સુરેન્દ્રનગર શહેર 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સૂકા અને ગરમ પવનોને કારણે સમગ્ર જિલ્લામાં અંગદઝાડતી ગરમી અને લૂનો અનુભવ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં છેલ્લા 3 દિવસના આંકડા જોઈએ તો તાપમાનમાં સતત વધારો જોવા મળ્યો છે. 7 માર્ચે મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી હતું, જે 8 માર્ચે વધીને 40 ડિગ્રી અને 9 માર્ચે સીધું 41.6 ડિગ્રી પર પહોંચી ગયું છે.
લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 18.8 ડિગ્રીનો મોટો તફાવત નોંધાતા લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે જિલ્લામાં હીટવેવની ‘યલો એલર્ટ’ જેવી ચેતવણી જારી કરી છે.
આ ભયંકર ગરમીથી બચવા માટે સરકારી કચેરીઓમાં પણ અનોખા પ્રયોગો કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે મુલાકાતીઓ અને કર્મચારીઓને લૂથી બચાવવા માટે બારીઓ અને મુખ્ય પરિસર પાસે મોટા પડદા લગાવી તેના પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ ‘દેશી જુગાડ’ અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગરમી સામે રક્ષણ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.
અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં પણ 41.6 ડિગ્રી, વડોદરા અને ભુજમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધવાની શક્યતા હોવાથી ખેતી અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે.
