- નવમાંથી સાત અકસ્માત ઝોન અમદાવાદ-રાજકોટ હાઇવે પર
- RTO, પોલીસ અને R&B વિભાગે અકસ્માતના કારણો શોધવા તપાસ હાથ ધરી
- હાઈવે પર સ્પીડ બ્રેકર, બેનરો લગાવવા આદેશ
- માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી છતાં જાગૃતિનો અભાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં માત્ર ૦૬ બ્લેક સ્પોટ (અકસ્માત પ્રભાવી ક્ષેત્રો) હતા, જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને ૦૯ પર પહોંચી ગઈ છે. આ વધારાને પગલે આજથી આરટીઓ, ટ્રાફિક પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી) વિભાગની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી છે.
સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ ચોક્કસ સ્થળોએ વારંવાર થતાં અકસ્માતના પરિબળોની તપાસ કરવાનો છે જેના કારણે લોકો જીવ ગુમાવે છે. હાલ (૧) દેવપરા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૨) પાણશીણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૩) ઓનેસ્ટ હોટલ- લીંબડી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૪) બલદાણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૫) સાયલા ગામ (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૬) ડોળીયા બાઉન્ટ્રી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૭) આપાગીગા ચોકડી-ચોટીલા (અમદાવાદ-રાજકોટ હાઇવે)(૮) સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ (૯) વઢવાણ ગેબનશાપીર રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હોવા છતાં વાહનચાલકોમાં અપેક્ષિત જાગૃતિ જોવા મળી નથી. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી અકસ્માતોનો નિવેડો લાવવા માટે વિવિધ સ્તરે લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસર એમ.ડી. પાનેશરિયાએ જણાવ્યું હતું કે, ‘અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સ્થળો પર નવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, દિશાસૂચક બોર્ડ અને લોકજાગૃતિના બેનરો લગાવવામાં આવશે. ડેટા એનાલિસિસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે ટેકનિકલ ખામી કે માનવીય ભૂલમાંથી કયું પરિબળ વધુ જવાબદાર છે.’ હાઇવે પરના મોટાભાગના સીસીટીવી-સ્પીડ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઇવે (૪૭) પર કરોડોનો ખર્ચે સીસીટીવી કેમેરા, સ્પીડ કેમેરા અને સ્પીડ લિમિટ ડિસ્પ્લે લગાવામાં આવી છે પરંતુ એક કેમેરા કે ડિસ્પ્લે કાર્યરત હાલતમાં નથી. જેના કારણે હાઇવે પર વાહન ચાલકો બેફામ બની અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધતા આ કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે.
