સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરિયાળીનો પાક પવનના કારણે આડો પડી ગયો છે અને છોડ તૂટી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, ચણાના પાકને પણ ભારે અસર પહોંચી છે; ખેતરોમાં રાખેલા ચણાના પાથરા પવનમાં ઉડી ગયા છે અને પોપટા ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
માત્ર વરિયાળી કે ચણા જ નહીં, પરંતુ અજમા અને જીરાના પાક પર પણ પવનની ગંભીર અસરો જોવા મળી છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં સુરેન્દ્રનગરના ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની સખત મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. પાયમાલ થયેલા ખેડૂતોએ હવે પોતાની આજીવિકા બચાવવા માટે સરકાર સામે મદદની પોકાર લગાવી છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.
