સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ નવા નિયમો મુજબ, ઉમેદવારી પત્રો ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયમ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો બંનેને સમાન રીતે લાગુ પડશે.
જો વધુ ટેકેદારોની હાજરી જરૂરી હોય, તો જૂના સભ્યો બહાર નીકળ્યા બાદ જ અન્ય વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકશે. આ નિયંત્રણો 6 એપ્રિલ, 2026થી 11 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ કડક પગલાં લેવામાં આવશે.
