સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આધુનિક સાધનોની મદદથી દિવ્યાંગોની ગતિશીલતા વધશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓએ દિવ્યાંગોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે શિક્ષણ અને રોજગાર મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે. સાધન મેળવ્યા બાદ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો. આ પહેલથી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકશે.
