સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપ સંગઠન દ્વારા મોટા ફેરફારો સાથે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા દ્વારા જાહેર કરાયેલી 44 સભ્યોની આ નવી ટીમમાં સોશિયલ એન્જિનિયરિંગ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 30 જેટલી વિવિધ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપીને તમામ વર્ગોને સાંધવાનો પ્રયાસ કરાયો છે.
નવા સંગઠનમાં 37 નવયુવાનોને સ્થાન આપી પક્ષે ભવિષ્યના નેતૃત્વની તૈયારી કરી છે, જ્યારે 11 મહિલાઓને મહત્વની જવાબદારી સોંપી નારી શક્તિનું સન્માન જાળવ્યું છે. આ માળખામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો અને બક્ષીપંચ મોરચા સહિત આઈ.ટી. અને મીડિયા સેલના હોદ્દેદારોના નામો પણ જાહેર કરી દેવાયા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે કાર્યકરોને ટિકિટ મળવાની શક્યતા ઓછી છે, તેમને સંગઠનમાં જવાબદારી સોંપી પક્ષે આંતરિક સંતુલન જાળવ્યું છે. જિલ્લા પ્રમુખે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા અને ચૂંટણીલક્ષી ગ્રાઉન્ડ વર્કમાં લાગી જવા આદેશ આપ્યા છે. ટૂંક સમયમાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
