સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી વધારવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ₹13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર શહેરની કાયાપલટ કરવા કટિબદ્ધ છે, જેમાં રૂ.48 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ અને રૂ.69 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની યોજનાઓ અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને રૂ.4.24 કરોડના ખર્ચે ‘અમૃત 2.0’ યોજના હેઠળ નવપલ્લિત થયેલા ઐતિહાસિક દૂધરેજ તળાવને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
વધુમાં, રૂ.9.35 કરોડના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો છે, જેમાં શહેરી પરિવહન માટે બસ સ્ટેશન (રૂ.3.69 કરોડ), અજરામર ટાવરનું આધુનિકીકરણ (રૂ.65 લાખ) અને વઢવાણમાં આધુનિક બગીચા (રૂ.1 કરોડ) જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. મનપાની વહીવટી કામગીરીને વેગ આપવા ઓફિસ બિલ્ડિંગના વિસ્તરણ માટે પણ રૂ.3.24 કરોડ ફાળવાયા છે.
આગામી સમયમાં 80 ફૂટ રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાની નેમ સાથે સુરેન્દ્રનગરને આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
