સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર સાડીની સામેના ખાંચામાં આવેલી આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તે પત્તાના મહેલની જેમ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ માર્ગ પરથી દરરોજ 1000થી વધુ લોકો પસાર થાય છે, જેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશ રેખાબેન અને અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝન છે, પરંતુ ચોમાસામાં વરસાદી પવનના કારણે આ ઇમારત ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ બિલ્ડિંગ સમયસર ઉતારી લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા તાત્કાલિક સર્વે કરી, માલિકને નોટિસ ફટકારે અને આ જોખમી બાંધકામ દૂર કરે. તંત્રની નિષ્ફળતાને કારણે હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
