ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 26 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. ઝાલાવાડના અંદાજે 127 પરીક્ષા કેન્દ્રો પર ‘તીસરી આંખ’ એટલે કે CCTV કેમેરાની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના બીજા જ દિવસથી ફૂટેજ ચકાસણીની કવાયત હાથ ધરવામાં આવી છે.
વઢવાણ તાલુકાના માળોદ રોડ પર આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આ ફૂટેજ નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ, 1 નોડલ ઓફિસર અને 15 કર્મયોગીઓની ટીમ દરરોજ સવારે 11 થી સાંજના 5 કલાક દરમિયાન ફૂટેજ ચેક કરે છે.
આ ટીમમાં વેળાવદર સરકારી હાઈસ્કૂલના આચાર્ય રેખાબેન પરમાર અને રાવળીયાવદર શાળાના શિક્ષક જયેશભાઈ પઢારીયા સહિતના નિષ્ણાતો સામેલ છે. અત્યાર સુધીમાં ચોટીલાના નાવા ગામની હાઈસ્કૂલમાં મોબાઈલ સાથે પરીક્ષા આપતો 1 વિદ્યાર્થી ઝડપાયો છે, જેના પર કોપીકેસ કરવામાં આવ્યો છે.
ચકાસણી પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને થાન, મૂળી અને ચોટીલા જેવા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગણિત અને અંગ્રેજી જેવા અઘરા વિષયોના ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ હિલચાલ કરતો જણાય, તો તેની અલગ વીડિયો ક્લિપ તૈયાર કરી સીડી (CD) બનાવવામાં આવે છે.
આ તમામ રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલવામાં આવશે, ત્યારબાદ શંકાસ્પદ વિદ્યાર્થીઓનું હિયરિંગ યોજીને પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ ફૂટેજ ચકાસણીની કામગીરી ચાલુ રહેશે જેથી એક પણ ગેરરીતિ પકડાયા વગર ન રહે.
