ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એમ.એચ. પઠાણની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. રાજ્યના ડીજી (DG) એ.એલ.એન. રાવ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ કુલ 9 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી પોલીસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આ યાદીમાં માત્ર બી ડિવિઝનના પીઆઈનું જ નામ આવતા પોલીસ બેડામાં કુતૂહલ સર્જાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લાના અનેક અધિકારીઓ બદલી માટે પ્રયત્નશીલ હતા, છતાં હાલ પૂરતી એક જ બદલી કરવામાં આવી છે. બીજી તરફ, સુરેન્દ્રનગરમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની મોટી અછત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક મહત્વના પોલીસ સ્ટેશનો હાલ પીએસઆઈ (PSI) કક્ષાના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. બદલીઓ સામે નવા અધિકારીઓની નિમણૂક ન થવાને કારણે વહીવટી કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અસર પડી રહી છે.
આગામી દિવસોમાં રાજ્ય ગૃહ વિભાગ દ્વારા વધુ એક બદલીનું લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાને નવા પીઆઈ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવા અધિકારીની નિમણૂક ક્યારે થશે તે જોવાનું રહેશે.
