સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના 2710 જેટલા કર્મચારીઓ આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.
વઢવાણ સહિત તમામ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે જિલ્લાના અંદાજે 20,000 થી વધુ બાળકોને મળતા પૌષ્ટિક આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર સીધી અસર પડી છે.
આંગણવાડી સંચાલકોની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, વર્ષ 2018 પછી જૂના થયેલા મોબાઈલ ફોનના બદલે નવા સ્માર્ટફોનની ફાળવણી અને વિવિધ બિલોની સમયસર ચુકવણીનો સમાવેશ થાય છે. અગાઉ 15 દિવસમાં 3 વખત આવેદનપત્ર આપવા છતાં આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા બહેનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરાયો હતો, પરંતુ હવે શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ હડતાલ 3 દિવસની જાહેર કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ શનિવાર, રવિવાર અને તહેવારની રજાઓ આવતી હોવાથી આંગણવાડીઓ સતત 5 દિવસ સુધી બંધ રહેશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી પોષણ યોજના ખોરવાઈ ગઈ છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે પગાર વધારાનો નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી આંદોલન વધુ તેજ બનાવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
