સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1,355 આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી 2,710 જેટલી મહિલા કર્મચારીઓ છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે.
આ આંદોલનના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં બહેનોએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ છાજીયા લીધા હતા અને ગરબે રમીને સરકારનું ધ્યાન ખેંચવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
આંગણવાડી વર્કર બહેનોની મુખ્ય 12 માંગણીઓમાં પગાર વધારો સૌથી મહત્વનો મુદ્દો છે. આંગણવાડી વર્કર યુનિયનના પ્રમુખ પ્રીતિબેન ચાવડાના જણાવ્યા અનુસાર, વર્ષ 2018 પછી સરકાર દ્વારા નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી, છતાં 7 જેટલી અલગ-અલગ એપ્લિકેશનોમાં ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવે છે.
બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમને પોતાના ખર્ચે મોબાઈલ ખરીદવા પડે છે અને મસાલાના બિલની ચુકવણી પણ સમયસર થતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગ્રેચ્યુઈટી અને પગાર વધારાનો લાભ ન મળતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ હડતાલને કારણે જિલ્લાના હજારો બાળકોના પોષણ અને શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોને મળતો પૌષ્ટિક આહાર અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અટકી પડ્યું છે. આ અંગે ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, બહેનોનું આવેદનપત્ર સરકારમાં ઉચ્ચ સ્તરે મોકલી આપવામાં આવ્યું છે.
આ પ્રશ્ન રાજ્ય કક્ષાનો હોવાથી સ્થાનિક સ્તરે કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં સુખદ નિવેડો આવે તેવા પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, આંગણવાડી વર્કરોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પગાર વધારાની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.
