સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કિશાન સેલના જિલ્લા ચેરમેન કિશોરસિંહ રાણાએ પોતાના પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
લીંબડીના વતની એવા કિશોરસિંહ રાણાએ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ અગાઉ રાજુ કરપડાના રાજીનામા બાદ હવે કિશોરસિંહના પક્ષ છોડવાથી AAPને મોટો ફટકો પડ્યો છે.
કિશોરસિંહ રાણાએ તેમના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તેમણે નેતૃત્વ પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે અને ઉમેર્યું છે કે પક્ષનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું હોવાથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAP તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સંગઠનમાં પડતા આ ગાબડાં આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. એક પછી એક હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા હોવાથી કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
