સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા વણકરવાસ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી ડ્રેનેજ અને ગંદકીના ગંજ જામ્યા છે.
વરવી વાસ્તવિકતા એ છે કે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા આ ખુલ્લી ગટરોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરિણામે સમગ્ર વિસ્તારમાં મેલેરિયા, શરદી, ઉધરસ અને તાવ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અંદાજિત 50થી વધુ મકાનો આવેલા છે, જ્યાં રહીશો માટે અસહ્ય દુર્ગંધ વચ્ચે જીવવું મુશ્કેલ બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા સેનિટેશન પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં રતનપર જેવા ગીચ વિસ્તારોમાં સફાઈ કામગીરી શૂન્ય જોવા મળી રહી છે.
ભેજવાળા વાતાવરણ અને મચ્છરોના પ્રજનનને કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે.
વણકરવાસના રહીશોએ માંગ કરી છે કે આ ખુલ્લી ડ્રેનેજની તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાઈપ લાઈન નાખી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. ગંદકી અને દુર્ગંધના કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.
તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ સફાઈના દાવા કરવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે ક્યારે એક્શન લે છે.
