સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓની કમર તોડી નાખી છે.
રણમાં મીઠું પકવતા અંદાજે 5,000 થી વધુ અગરિયાઓના તૈયાર મીઠાના પાટામાં ધૂળ જામી જવાથી ક્વોલિટી બગડી છે, જ્યારે અનેક સોલાર પ્લેટો અને ઘરવખરી ઉડી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ કપરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારે મેદાનમાં આવી અગરિયાઓની વહારે ધાવા સરકારને અપીલ કરી છે.
ધારાસભ્ય પી.કે. પરમારે રણ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અગરિયાઓની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અસરગ્રસ્ત અગરિયાઓ માટે કુલ 220 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ જાહેર કરવામાં આવે.
વધુમાં, તેમણે પ્રત્યેક અગરિયા પરિવારને થયેલા નુકસાનના વળતર રૂપે 44,000 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવા રજૂઆત કરી છે. વાવાઝોડાને કારણે એક અગરિયા દીઠ સરેરાશ 50,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેના કારણે હાલ રણના રત્નોની હાલત અત્યંત કફોડી બની છે.
