ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ દ્વારા યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી સમાજની બોર્ડિંગ ખાતે શનિવારે, 14-3-2026 ના રોજ શ્રીજીસ્વામીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ-ગાંધીનગર હાઈવે નજીક અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય શૈક્ષણિક સંકુલ અને અત્યાધુનિક છાત્રાલય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર પંથકના 36 ગામના આગેવાનોએ એકસૂરે સહમતી દર્શાવી છે. અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ હિંમતસિંહ કટારીયાની ઉપસ્થિતિમાં મળેલી આ મીટિંગમાં સમાજની ભવિષ્યની પેઢી માટે મજબૂત શૈક્ષણિક પાયો નાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઈવે નજીક જમીન ખરીદવા અને સંકુલના નિર્માણ અંગે થયેલી ચર્ચામાં તમામ આગેવાનોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.
વિશેષ વાત એ છે કે, બેઠક દરમિયાન જ આ પ્રોજેક્ટ માટે દાનની સરવાણી શરૂ થઈ ગઈ હતી. આશરે 50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં માત્ર રહેવાની સગવડ જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમાજના આગેવાનોના મતે, આ શૈક્ષણિક સંકુલ આવનારા સમયમાં નાડોદા રાજપૂત સમાજના તેજસ્વી યુવાનો માટે પ્રગતિનું દ્વાર સાબિત થશે.
