સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયા નામના ખેડૂતે વ્યાજ માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા.
મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં વ્યાખોરો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા.
જમીન લખી આપી હોવા છતાં આ ત્રણ વ્યાજખોરોની લાલચ શાંત થઈ નહોતી. તેઓ સતત ખેડૂત પાસે વધારાના 3 લાખ રૂપિયાની માંગણી કરી છેલ્લા 15 દિવસથી ફોન પર ધમકીઓ આપતા હતા. આ પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસને કારણે આશાસ્પદ ખેડૂતે અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે મૂળી પોલીસે દેવાયતભાઈ રબારી (રહે. ગઢડા), કાળુભાઈ ભરવાડ અને દીલાભાઈ ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
