સુરેન્દ્રનગર જિલ્લામાં કુપોષણની ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં 8,000 જેટલા બાળકો કુપોષણથી પીડાતા હોવાનો ખુદ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.
ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું કે, 31 January 2026ની સ્થિતિએ જિલ્લામાં કુલ 7,913 બાળકો કુપોષિત નોંધાયા છે.
આ આંકડાઓમાં 6,509 બાળકો ઓછા વજનવાળા અને 1,404 બાળકો અતિ ઓછા વજનવાળા શ્રેણીમાં આવે છે. ખાસ કરીને વઢવાણ તાલુકામાં સૌથી વધુ 2,000 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.
સરકાર દ્વારા આંગણવાડીઓ મારફતે ફોર્ટીફાઈડ સુપોષિત આહાર અને બાળકના જન્મના 1,000 દિવસ સુધી વિશેષ કાળજી લેવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આટલી યોજનાઓ છતાં ઝાલાવાડમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે.
જોકે, મંત્રીએ દાવો કર્યો હતો કે અગાઉની સરખામણીએ કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ સેંકડો બાળકો તંદુરસ્ત આહારથી વંચિત હોવાની વાસ્તવિકતા સામે આવી છે.
