જામનગરથી વડોદરા જઈ રહેલા બે મિત્રોની કારને લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા ચોકડી (Bhalgamda Chowkdi) પાસે કાળ ભેટી ગયો હતો. ઓવરબ્રિજ ઉતરતી વખતે કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં કાર ચાલક આષીશભાઈ રઘુભાઈ નંદા (ઉંમર 40) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ભાવેશભાઈ ભરતભાઈ સરવૈયા (ઉંમર 30) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) ને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત ભાવેશભાઈને લીંબડી સરકારી હોસ્પિટલ (Hospital) ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર (Surendranagar) રિફર કરવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે મોકલી આપી હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામ (Traffic Jam) દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.