અમદાવાદના એક ટ્રાવેલ સંચાલક દ્વારા જગન્નાથપુરીની યાત્રા કરાવવાના બહાને મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રાના 50થી વધુ લોકો આ સ્કીમનો ભોગ બન્યા છે, જેમની પાસેથી એડવાન્સ પેટે 2,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
દર્પણ ટ્રાવેલ્સના સંચાલક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાએ ડિસેમ્બર મહિનામાં આ ટૂર માટે બુકિંગ શરૂ કર્યું હતું અને જાન્યુઆરીમાં યાત્રા ઉપડવાની જાહેરાત કરી હતી. જોકે, નિર્ધારિત સમય વીતી ગયા બાદ પણ યાત્રાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું.
જ્યારે શ્રદ્ધાળુઓએ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ છેતરપિંડી માત્ર ધ્રાંગધ્રા પૂરતી સીમિત નથી, પરંતુ અમદાવાદ અને સુરતના અનેક લોકો પણ આ ઠગાઈનો શિકાર બન્યા છે.
ભોગ બનનાર યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સસ્તામાં યાત્રા કરાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા છે. હાલમાં આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે અને ધ્રાંગધ્રાના અસરગ્રસ્તો દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
