સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત,

9.71 કરોડના ખર્ચે ફાયર વાહનો વસાવાશે

ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર 1.12 કરોડના ખર્ચે પોલ સાથે સુંદર ડેકોરેટિવ લાઇટો નખાશે
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતભરમાં અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું,સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા ઉપસ્થિત રહીને કરોડોના કામોનો શુભારંભ કરાવ્યો હતો મનપા કમિશ્નર નવનાથ ગ્વહાણે ડેપ્યુટી કમિશ્નર અર્જુનભાઇ ચાવડા સહીત કર્મીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પ્રોજેક્ટ્સ આવનાર સમયમા બનવાના છે
જેમાં શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 9.71 કરોડ રૂપિયાના ખર્ચે અગ્નિશમન સાધનો (ફાયર વાહનો)ની ખરીદી માટે કંપની સાથે કરાર કરવામાં આવ્યો. આ ઉપરાંત ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર 1.12 કરોડના ખર્ચે પોલ સાથે સુંદર ડેકોરેટિવ લાઇટો નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તેમજ મહાનગરપાલિકા કચેરી ખાતે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેન્ટર દ્વારા મહાનગરપાલિકાની તમામ મિલકતોની સુરક્ષા માટે CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે, જેથી કોઈ નુકસાન ન કરી શકે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૮ જેટલી સિટી બસોનું GPS મારફતે ટ્રેકિંગ આ ICCC દ્વારા કરવામાં આવશે. આનાથી બસ કયા રૂટ પર છે, ક્યાં પહોંચી છે તેની માહિતી મળી શકશે. પાણી પુરવઠા પર નજર રાખવા ઉપરાંત, મહાનગરપાલિકામાં આવતા અરજદારો અને મુલાકાતીઓની સંખ્યાની ગણતરી AI સિસ્ટમ સાથેના CCTV કેમેરા દ્વારા સવારથી સાંજ સુધી કરવામાં આવશે. વઢવાણ-લીંબડી રોડ પર કેરાળા ગામ નજીક નર્મદા કેનાલના કાંઠે 20 કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (સાયન્સ મ્યુઝિયમ)ના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે જિલ્લા માટે એક મોટી ભેટ છે.
આ ઉપરાંત વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે અધિકારી, પદાધિકારીએ સમસ્ત નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત થકી વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ. ખાસ કરીને દિવાળી જેવા તહેવાર નિમિત્તે, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરીને, આપણા ભારતીય નાગરિકો દ્વારા કારખાનામાં કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી બનેલી સ્વદેશી ચીજવસ્તુઓની જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.