ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના મિલકત વેરો, પાણી વેરો અને લાઈટ વેરા પેટે લાંબા સમયથી અંદાજે 1 કરોડ રૂપિયાની રકમ બાકી હોવાથી માર્ચ મહિનાના અંત પૂર્વે ઉઘરાણી તેજ કરવામાં આવી છે.
ચીફ ઓફિસર મંન્ટીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાની જુદી જુદી ટીમો બનાવીને અંદાજે 1,500 જેટલા બાકીદારોને રૂબરૂ મળીને તાત્કાલિક બિલ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.નગરપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો બાકીદારો દ્વારા સમયસર વેરો ભરવામાં નહીં આવે, તો જરૂર પડ્યે તેમના નળ કનેક્શન કાપી નાખવા જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે.
આ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે શહેરમાં રિક્ષા દ્વારા જાહેરાતો અને ઠેર-ઠેર બોર્ડ લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પાલિકાની આ આક્રમક ઉઘરાણીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વેરાના બિલ ભરવા માટે લોકોની દોડધામ વધી છે.પાલિકાના કર્મચારીઓ દ્વારા વોર્ડ વાઈઝ લિસ્ટ તૈયાર કરી રૂબરૂ સંપર્ક શરૂ કરાતા વસૂલાતની કામગીરીમાં ગતિ આવી છે. તંત્રનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષના અંત સુધીમાં મહત્તમ બાકી રકમ જમા કરાવવાનો છે, જેથી શહેરના વિકાસ કામોમાં અવરોધ ન આવે.
