ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલી ચામુંડા ધર્મશાળા ખાતે ચોટીલા પોલીસ ડિવિઝન દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનારા વ્યાજખોરો વિરુદ્ધ એક વિશેષ જન સંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં થાન, ચોટીલા અને આણંદપુર વિસ્તારના 150 થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરોના શારીરિક અને માનસિક ત્રાસથી પીડાતા લોકોએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. જેને ધ્યાને લઈ Dysp સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીડિતોને વ્યાજખોરો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વ્યાજની ચુંગાલમાં ફસાયેલા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સ્થળ પર વિવિધ બેંકોના મેનેજરોની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાયો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને સરળતાથી અને કાયદેસરની લોન ઉપલબ્ધ કરાવી વ્યાજખોરોથી બચાવવાનો હતો.
બેંક અધિકારીઓએ પાત્રતા ધરાવતા અરજદારોને તાત્કાલિક લોન મળે તે માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ તંત્રના આ પ્રજાલક્ષી અભિગમથી સ્થાનિકોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. કાર્યક્રમમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓએ લોકોને કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
