ધ્રાંગધ્રાના નરાળી ગામે આર્મી જવાનની અંતિમયાત્રા ભારે થી હૈયે વિદાય

આર્મી અધિકારીઓ પરીવારજનો ગ્રામજનોની વચ્ચે ગાર્ડ ઓફ ઓનર અપાયુ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની અને દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મી જવાન મુલાડીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ પર હતા ત્યારે વહાણભાઈ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમનું અવસાન થયું હતું. દેશ માટે ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને ‘શહીદ’નો દરજ્જો મળ્યો છે.
વીર શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાન વહાણભાઈની અંતિમ યાત્રા ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી નરાળી ગામ સુધી કાઢવામાં આવી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં જ્યારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામના લોકોએ ભારે હૃદયે પોતાના વીર સપૂતને વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં ‘શહીદ વહાણભાઈ અમર રહો’ના નારા ગુંજ્યા હતા. શહીદ જવાનને અંતિમ સલામી આપવા માટે આર્મીના જવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વહાણભાઈના નિધનથી માત્ર નરાળી ગામ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા વહાણભાઈ મુલાડીયાએ પોતાના બલિદાનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.