Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ તો કરાયો છે, પરંતુ તંત્ર પાસે રખડતા કે હડકાયા શ્વાન પકડવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
અગાઉ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં 5,300 થી વધુ શ્વાન વસવાટ કરે છે. તે સમયે તંત્ર દ્વારા શ્વાનની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સર્વે પૂર્ણ થયા બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
દરમિયાન સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક હડકાયા શ્વાને આતંક મચાવી 10 થી વધુ લોકોને બચકા ભરી લીધા છે. જેમાં શાળાએ જઈ રહેલા 3 જેટલા વિદ્યાર્થીઓ પણ આ રખડતા શ્વાનનો ભોગ બન્યા છે.
શ્વાને લોકોના હાથ, પગ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને હડકવા વિરોધી (એન્ટી-રેબિઝ) રસી આપીને જરૂરી ડ્રેસિંગ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા હડકાયા શ્વાનને પકડવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ તરફથી રખડતા શ્વાન પકડવા માટેની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનો બેજવાબદાર નકારાત્મક ઉત્તર મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
એકસાથે 10 થી વધુ લોકોને શ્વાન કરડવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે શ્વાન પકડવાની ટીમ બનાવવા અને જરૂરી સાધન-સામગ્રી વસાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.
